છોટાઉદેપુરના કવાંટમાં ભરાયેલા સુપ્રસિદ્ધ ‘ગેરના મેળા’માં એવા દ્રશ્યો જોવા મળ્યા જે આદિવાસી સમાજ માટે ખૂબ મોટી વાત કહી શકાય. આ દ્રશ્યોએ દેશની લોકશાહીમાં સામાજિક એકતાનું શ્રેષ્ઠ ઉદાહરણ પૂરું પાડ્યું છે. સાથે જ આદિવાસી એક્તાની છબીને ફરી એકવાર લોકોને યાદ અપાવી છે. ગેરના મેળામાં ભાજપના સાંસદ જશુ રાઠવા અને આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા ગેરના મેળામાં સામસામે આવ્યા હતા અને એકબીજાને ગળે મળ્યા હતા. ભલે રાજકારણમાં બંને નેતાઓની પાર્ટીઓ અલગ-અલગ હોય પણ જ્યારે આદિવાસી સંસ્કૃતિની વાત આવે ત્યારે કોઈ પણ જાતનો રાજકીય કડવાશ જોવા વગર બંને નેતાઓ મેળામાં એકબીજાને ગળે મળ્યા હતા.

ખાસ કરીને બંને નેતાઓએ એકબીજાને ઉષ્માભેર ગળે લગાડીને શિષ્ટાચાર ચૂકવ્યો હતો. આ મિલન દર્શાવે છે કે વિચારધારા કોઈ પણ હોઈ શકે, પણ સમાજ અને સંસ્કૃતિ માટે બધા જ એક છે. મહત્વનું છે કે, આજના સમયમાં જ્યારે સોશિયલ મીડિયા પર રાજકીય ખેંચતાણ વધતી જાય છે, ત્યારે આ નેતાઓએ બતાવ્યું કે જાહેર જીવનમાં મર્યાદા અને સન્માન સૌથી ઉપર છે.આદિવાસી સંસ્કૃતિના આ મહાકુંભમાં નેતાઓની એકતાએ સામાન્ય જનતામાં પણ ભાઈચારાનો સંદેશ વહેતો કર્યો છે. હોળી-ધૂળેટી અને ગેરનો મેળો એ વેરભાવ ભૂલીને રંગે રમવાનો તહેવાર છે, જે આજે આ નેતાઓએ સાર્થક કરી બતાવ્યો.

