સુરત જિલ્લાના માંડવી તાલુકાના તડકેશ્વર ગામમાં પાણીની ટાંકી ધરાશાયી થવાનો મુદ્દે સમગ્ર ગુજરાતમાં અત્યારે ચર્ચાનો વિષય બન્યો છે. અંદાજે 21 કરોડના ખર્ચે તૈયાર થયેલી નવી પાણીની ટાંકી લોકાર્પણ પહેલાં જ ધરાશાયી થઈ હતી. ટાંકીના ટેસ્ટિંગ દરમિયાન ટાંકી તૂટી પડી હતી. જેમાં 3 મજૂરો ઈજાગ્રસ્ત થયા હતા. આ પાણીની ટાંકીના ખર્ચની વાત કરવામાં આવે તો, કુલ ખર્ચ રૂપિયા 21 કરોડ માનવામાં આવે છે. ટાંકીની ક્ષમતા 11 લાખ લિટર (9 લાખ લિટર ભરીને ટેસ્ટિંગ કરવામાં આવ્યું) હતું. આ ટાંકી દ્વારા આસપાસના 33–34 ગામોને પીવાનું શુદ્ધ પાણી પૂરું પાડવાનો હતો. પણ ટાંકીમાં મોટા પાયે ભ્રષ્ટાચાર થવાથી ટાંકીનું લોકાર્પણ થાય તે પહેલા જ તૂટી પડી હતી.
કેવી રીતે બની સમગ્ર ઘટના;
ટાંકીમાં 9 લાખ લિટર પાણી ભરતાં જ એક બાજુથી તિરાડ પડી
આખું સ્ટ્રક્ચર પત્તાના મહેલની જેમ ધરાશાયી થઈ ગયું
લાખો લિટર પાણી ધસમસતા પ્રવાહમાં વહી ગયું અને ગામમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ હતી.
આ ઘટનામાં 3 મજૂરો (એક બાળક સહિત) ઈજાગ્રસ્ત થતાં તમામને સારવાર માટે ખસેડાયા હતા. અત્યારે તમામની હાલત સ્થિર છે.
અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા:-
સરકારી કાર્યવાહી (21 જાન્યુઆરી 2026 સુધી) GWSSBના 2થી 3 અધિકારીઓ સસ્પેન્ડ (નાયબ કાર્યપાલક ઈજનેર, કાર્યપાલક ઈજનેર સહિત)
કોન્ટ્રાક્ટર (મહેસાણા આધારિત Jayanti Super Construction Pvt Ltd) બ્લેકલિસ્ટ
તમામ ચુકવણી રોકી દેવમાં આવી.
માંડવી પોલીસ સ્ટેશનમાં FIR નોંધાઈ (5 જવાબદારો સામે)
ગાંધીનગર વિજિલન્સ ટીમે તપાસ શરૂ કરી, સેમ્પલ લેવાયા
ટાંકી તૂટી પડતા કોંગ્રેસ પાર્ટી આક્રમક મૂડામાં જોવા મળી:-
ટાંકી તૂટવા મુદ્દે કોંગ્રેસ પાર્ટી આક્રમક મૂડમાં જોવા મળે છે. અને અમદાવાદની સારંગપુરની ટાંકી સાથે સુરતના માંડવીમાં બનેટી ટાંકીની સરખામણી કરવામાં આવી છે. કોંગ્રેસના સમયમાં થયેલા બાંધકામને ગણાવ્યું મજબૂત અમિત ચાવડાએ કહ્યું કોંગ્રેસના શાસનમાં બનેલી ટાંકીને JCBથી તોડવી પડતી હતી. જ્યારે ભાજપના રાજમાં બનેલી ટાંકીઓમાં પાણી ભરતાની સાથે જ તૂટી પડે છે.
કમલમમાં કમિશન ના પહોંચે ત્યાં સુધી કોન્ટ્રાક્ટ પર સહી નથી: અમિત ચાવડા
ટાંકી તૂટવા મુદ્દે કોંગ્રેસ નેતા અમિત ચાવડાએ કહ્યું કે, ભારતીય જનતા પાર્ટીમાં જે ભ્રષ્ટાચાર ચાલે છે તેનો આ નમૂનો હોવાનું જણાવ્યું હતું. તેમણે વધુમાં કહ્યું કે, કમિશન કમલમમાં ન પહોંચે ત્યાં સુધી કોન્ટ્રાક્ટ પર સહીં ન થતી હોવાનું જણાવ્યું હતું. તેમણે વધુમાં આક્ષેપ કરતા કહ્યું કે, ભાજપ સરકારમાં દરેક કોન્ટ્રાક્ટ માટે 40 ટકા કમિશન લેવાતું હોવાનું જણાવ્યું હતું.

