શ્રીલંકામાં તબાહી મચાવ્યાં બાદ હવે દિતવાહ વાવાઝોડું તેજીથી ભારત તરફ આગળ વધી રહ્યું છે. ભારતીય હવામાન વિભાગની આગાહી અનુસાર વાવાઝોડું 30મી નવેમ્બરે તમિલનાડુ અને આંધ્ર પ્રદેશના દરિયાકાંઠે ટકરાઇ શકે છે. વાવાઝોડાના કારણે શ્રીલંકામાં ભારે તારાજી સર્જાઈ છે. મૃત્યુઆંક વધીને 123 પહોંચ્યો છે જ્યારે હજારો લોકો બેઘર થયા છે.
પુડુચેરીમાં રેડ એલર્ટ જારી
ચક્રવાત દિતવાહ ભારતીય દરિયાકાંઠે નજીક આવતાં પુડુચેરીમાં રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. જિલ્લા વહીવટીતંત્રે તમામ વિભાગોને સતર્ક રહેવાની સૂચના આપી છે અને લોકોને બિનજરૂરી રીતે બહાર ન નીકળવાની સલાહ આપી છે. મત્સ્યઉદ્યોગ વિભાગે માછીમારોને દરિયામાં ન જવાની ચેતવણી પણ આપી છે. અરાક્કોનમથી 60 સભ્યોની બચાવ ટીમ પુડુચેરી પહોંચી ગઈ છે.
૩૬ ફ્લાઇટ્સ રદ કરવામાં આવી
શનિવારે, ચેન્નાઈ એરપોર્ટથી આવતી અને જતી ૩૬ ફ્લાઇટ્સ રદ કરવામાં આવી હતી, જ્યારે રવિવારે ૪૭ ફ્લાઇટ્સ રદ કરવામાં આવી હતી. રવિવારે રદ કરાયેલી ૪૭ ફ્લાઇટ્સમાંથી ૩૬ સ્થાનિક અને ૧૧ આંતરરાષ્ટ્રીય હતી.

