ગુજરાતમાં જીનોમ સિક્વન્સિંગ પ્રોજેક્ટ હેઠળ સંશોધકો 11 જિલ્લાઓના 31 આદિવાસી સમુદાયોમાંથી ડીએનએ નમૂનાઓ એકત્રિત કરીને એક ડેટાબેઝ બનાવી રહ્યા છે, જે આ જૂથોમાં આનુવંશિક રોગોના નિદાન અને સારવારને સુધારવામાં મદદ કરશે. નાણાકીય વર્ષ 2025-26માં, ગુજરાત સરકારે “આદિવાસી વસ્તી માટે રેફરન્સ જીનોમ ડેટાબેઝનું નિર્માણ” પ્રોજેક્ટને મંજૂરી આપી હતી જેથી એક વ્યાપક જીનોમ ડેટાબેઝ બને અને હાલના ડેટામાં રહેલો તફાવત દૂર થાય. આ પ્રોજેક્ટ ભારત સરકારના બાયોટેક્નોલૉજી વિભાગના જીનોમ ઇન્ડિયા પ્રોજેક્ટના સહયોગથી હાથ ધરવામાં આવી રહ્યો છે.
આદિવાસી સમુદાયના સ્વાસ્થ્ય માટે જીનોમ વિજ્ઞાનનો ઉપયોગ કરવામાં ગુજરાત અગ્રેસર
ગુજરાતમાં જીનોમ સંશોધનને વેગ આપવા માટે GBRC ખાતે આધુનિક સુવિધાઓ છે, જેમાં લોંગ-રીડ સિક્વન્સર સહિત ત્રણ જીનોમ સિક્વન્સિંગ મશીનનો સમાવેશ થાય છે, જે એક સમયે 5,000-10,000 બેઝ પેઅર (મૂળ જોડી)નું વિશ્લેષણ કરી શકે છે, જે વૈજ્ઞાનિકોને જટિલ આનુવંશિક ફેરફારો શોધવામાં મદદ કરે છે. આ મશીનોનો ઉપયોગ પહેલાં કોવિડ-19 દરમિયાન કરવામાં આવતો હતો, પરંતુ હવે તેનો ઉપયોગ વ્યાપક જીનોમિક સંશોધન માટે થાય છે.
ગુજરાતમાં દરેક સિક્વન્સિંગ બૅચમાં 25-50 મનુષ્યના જીનોમનું સિક્વન્સિંગ થઈ શકે છે, જેના પરિણામો 48-72 કલાકમાં તૈયાર થઈ જાય છે. સ્થાનિક સુવિધાઓ વધારીને અને ખર્ચનું સંચાલન કરીને, GBRCએ દરેક સેમ્પલની કિંમત ₹85,000 થી ઘટાડીને લગભગ ₹60,000 કરી છે. આ સંશોધન ડૉક્ટરોને સુરક્ષિત અને વધુ અસરકારક સારવાર આપવામાં અને આધુનિક જીનોમ વિજ્ઞાનથી આદિવાસી સમુદાયોને લાભ મળે તે સુનિશ્ચિત કરવામાં મદદ કરી શકે છે.

