તાપી જિલ્લાના સોનગઢ સરકારી વિનયન અને વાણિજ્ય કૉલેજમાં શનિવારે સંકુલના ‘૨૫મા વાર્ષિકોત્સવ’ અને ‘રજતજયંતી મહોત્સવ’ માં વિશેષ ઉપસ્થિત નોંધાવતા રમતગમત, ઉદ્યોગ સહિત સર્વાધિક વિભાગોની જવાબદારી સંભાળતા રાજ્યમંત્રી ડૉ. જયરામભાઈ ગામીતે જણાવ્યું કે, આ કૉલેજે આદિવાસી અને ગ્રામીણ વિસ્તારના હજારો યુવાનોના જીવનમાં શિક્ષણનો ઉજાસ ફેલાવ્યો છે, તે જોઈને સંતોષ થાય છે.

વધુમાં ડૉ. જયરામભાઈ ગામિતે ઉમેર્યું કે, ખાસ કરીને તાપી જેવા આદિવાસી બહુલ જિલ્લામાં જ્યારે દીકરા-દીકરીઓ ઉચ્ચ શિક્ષણ મેળવે છે, ત્યારે માત્ર એક વ્યક્તિ નહીં પણ આખું પરિવાર અને સમાજ પ્રગતિ કરે છે. વિદ્યાર્થીઓને પણ ગુણવત્તાયુક્ત શિક્ષણ મળી રહે, તેમનું ભાવિ ઉજ્જવળ બને તેવા લક્ષ સાથે સરકાર પણ આગળ વધી રહી છે.
નોંધનીય છે કે, ગ્રામીણ અને આદિવાસી વિસ્તારના વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણ આપી તેમના જીવનધોરણમાં પરિવર્તન લાવવાના ઉમદા હેતુ સાથે આ મહોત્સવનું આયોજન કૉલેજ પરિવાર દ્વારા કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે વિવિધ ક્ષેત્રે વિશેષ સિદ્ધિ હાંસલ કરનાર તેજસ્વી વિદ્યાર્થીઓને મંત્રીશ્રીના હસ્તે ઇનામ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમમાં આમંત્રિત મહેમાનો, મહાનુભાવો, તેમજ અન્ય શિક્ષણવિદો, કૉલેજના આચાર્ય ડૉ. રાજેશભાઈ એ. પટેલ સહિત કોલેજ પરિવાર અનેમોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યાં હતા.


