તાપી જિલ્લાના ઉકાઈ ખાતે દશેરાના પાવન પર્વ તેમજ ગાંધી જયંતિના શુભ દિને ગુરુવારે સોનેરી દિવસ ઉગ્યો હતો. અહીંના અંતરિયાળ વિસ્તારના આદિવાસી લોકો માટે રાજ્ય સરકારે તાપી જિલ્લાના આઠમાં તાલુકા તરીકે ઉકાઈ તાલુકાને જાહેર કર્યો હતો. જેનો વિધિવત પ્રારંભ રાજ્યના વન અને પર્યાવરણ મંત્રી અને પ્રભારી મંત્રી મુકેશભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને લોકાર્પણ સમારોહ ઉકાઈ (જુનુ જલ ભવન) ખાતે યોજાયો હતો. સૌ તાપીવાસીઓ માટે આજનો દિવસ ઐતિહાસિક સંભારણું બન્યો હતો.
મંત્રી મુકેશભાઈ પટેલે સૌને દશેરાની શુભકામનાઓ પાઠવતા જણાવ્યું હતું કે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ નવરાત્રના પ્રથમ દિવસે દેશવાસીઓને GST માં ઘટાડો કરીને ભેટ આપી છે. જેનાથી અનેક પ્રકારના ટેક્ષમાં ઘટાડો થશે. તેમજ જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓના ભાવમાં ઘટાડો થશે. ૨૦૪૭માં વિકસિત ભારતના નિર્માણ માટે આપણે સૌ કટીબધ્ધ છીએ. જ્યારે મુખ્ય મંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આપણને દશેરાના દિવસે નવા ઉકાઈ તાલુકાની ભેટ આપી છે જે આપણા માટે આનંદનો દિવસ છે. તાપી જિલ્લો ૯૯ ટકા આયુષમાન કાર્ડ સાથે રાજ્યમાં મોખરે રહ્યો છે. છેવાડાના માનવીને અગવડ ન પડે તે માટે આજથી મામલતદાર અને તાલુકા વિકાસ અધિકારીની કચેરીઓનો પ્રારંભ થઈ ગયો છે. નવા તાલુકાના નિર્માણથી અહીંના લોકોને ઘણાં ફાયદા થશે.છેવાડાના માનવી સુધી પહોંચવાનું કામ રાજ્ય સરકારે કર્યું છે.
જિલ્લા પંચાયત પ્રમુખ જાલમસિંહ વસાવાએ રાજ્ય સરકારનો આભાર વ્યક્ત કરતા લોકબોલીમાં જણાવ્યું હતું કે સોનગઢ ખૂબ જ મોટો તાલુકો હતો. તેના વિભાજનથી લોકોને ફાયદો થશે. દુર દુરના ગામડાના લોકોને પડતી મુશ્કેલીનો અંત આવશે. તાપી કલેકટર ડો.વિપિન ગર્ગે જણાવ્યું હતું કે આજથી ઉકાઈ તાલુકો અસ્તિત્વમાં આવ્યો છે. લોકોના કામો ઝડપી થશે. સોનગઢમાંથી ઉકાઈમાં સમાવિષ્ઠ ૬૮ ગામો , મહેસુલી ગામો ૪૩ ,ડુબાણ બિન વસાહત અને વિસ્થાપિત ૨૫ ગામો આમ નવા તાલુકા માટે સૌને શુભકામનાઓ પાઠવી હતી.
નવનિર્મિત ઉકાઈ તાલુકાની કુલ વસ્તી ૧,૦૧,૮૩૬ જેમાં સ્ત્રીઓ ૫૦,૬૦૬ અને પુરૂષો ૫૧,૨૩૦ કુલ ગ્રામ પંચાયત ૩૮, વિધાનસભાનું નામ ૧૫૭-માંડવી(અ.જ.જા) મતદાર વિભાગ કુલ આરોગ્ય કેન્દ્રો ૦૫,પી.એચ.સી.૦૫,કુલ આંગણવાડી કેન્દ્રો ૧૦૦,કુલ પ્રાથમિક શાળા ૧૦૩,કુલ માધ્યમિક શાળા ૦૫,કુલ ઉચ્ચત્તર માધ્યમિક શાળા ૦૯, ખાનગી શાળા ૦૬,આશ્રમ શાળા ૦૬,પોલીસ સ્ટેશન ઉકાઈ પોલીસ સ્ટેશન,કુલ બેંક ૦૮,રાષ્ટ્રિયકૃત બેંક ૦૫,સહકારી બેંક ૦૩,પોષ્ટ ઓફિસ ૦૭,રેંજ ફોરેસ્ટ ૦૩
ઉકાઈ તાલુકાના લોકાર્પણ પ્રસંગે મામલતદારશ્રી અને તાલુકા વિકાસ અધિકારીઓની કચેરીઓનો શુભારંભ કરાયો હતો. તેમજ મહાનુભાવોના હસ્તે પોષણમાસ નિમિત્તે આંગણવાડી બહેનો,ભુલકાને પોષણ કીટ અર્પણ કરાઈ હતી.ત્યારબાદ મહાનુભાવોના હસ્તે વૃક્ષારોપણ કરાયું હતું. આ સમારોહમાં પદ્મ રમીલાબેન ગામીત, સંગઠન પ્રમુખ સૂરજભાઈ વસાવા,જિલ્લા વિકાસ અધિકારી રામનિવાસ બુગાલિયા, પ્રાયોજના વહીવટદાર જયંતસિંહ રાઠોર, વ્યારા પ્રાંત અધિકારી સંદીપભાઈ ગાયકવાડ, મામલતદાર રાણાભાઈ,તાલુકા વિકાસ અધિકારી, સરીતાબેન વસાવા, પદાધિકારીઓ,વહીવટી તંત્રના અધિકારી/કર્મચારીઓ સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહી આ ઐતિહાસિક દિવસના સાક્ષી બન્યા હતા.




