અમદાવાદમાં ગુરુવારે થયેલી પ્લેન ક્રેશની ઘટનાને હજુ તો માત્ર ત્રણથી ચાર દિવસ થાય છે. આ ઘટનામાં હજુ તો તપાસ એજન્સીઓ દ્વારા પ્લેન ક્રેશ કેવી રીતે થયું તેની તપાસ કરવામાં આવી રહી છે. આ બધાં વચ્ચે ફરી એકવાર હેલિકોપ્ટર ક્રેશ થવાની ઘટના સામે આવી છે. આ ઘટનામાં સાત જેટલા લોકોના મોત થયા હોવાની માહિતી મળી રહી છે. એટલે કે, હેલિકોપ્ટરમાં સવાર તમામ લોકો મોતને ભેટ્યા છે. કેદારનાથ ધામ જઈ રહેલું હેલિકોપ્ટર ક્રેશ થયું અને તમામ લોકોના મોત થયા.
સમગ્ર ઘટના પર એક નજર:-
ઉત્તરાખંડના ગુપ્તકાશીથી કેદારનાથ ધામ જઈ રહેલું આર્યન એવિએશનનું હેલિકોપ્ટર ગૌરીકુંડ-સોનપ્રયાગના જંગલોમાં ક્રેશ થયું છે. આ અકસ્માતમાં પાઇલટ સહિત તમામ સાત લોકોના મોત થયા હોવાની માહિતી મળી રહી છે. ઘટનાની જાણ થતાંની સાથે જ બચાવ ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને બચાવ કાર્યમાં લાગી ગઈ છે. આ અકસ્માત ખરાબ હવામાનને કારણે થયો હોવાનું કહેવાય છે. આ અકસ્માત ઉત્તરાખંડના રુદ્રપ્રયાગના ગૌરીકુંડ વિસ્તારમાં થયો હતો. આ હેલિકોપ્ટર કેદારનાથ ધામથી ફાટા આવી રહ્યું હતું, ત્યારે આ અકસ્માત થયો હતો. મળતી માહિતી મુજબ, આ હેલિકોપ્ટરમાં તેની ક્ષમતા કરતાં વધુ લોકો સવાર હોવાની માહિતી મળી રહી છે. આ ઘટના મુદ્દે ઉત્તરાખંડના એડીજી લો એન્ડ ઓર્ડર, ડૉ. વી. મુરુગેશને જણાવ્યું હતું કે ગૌરીકુંડમાં ગુમ થયેલું હેલિકોપ્ટર ક્રેશ થયું છે. ક્રેશ થયેલા હેલિકોપ્ટરમાં 6 લોકો સવાર હતા. માહિતી મુજબ, સવારે 5:17 વાગ્યે, આર્યન કંપનીનું હેલિકોપ્ટર કેદારનાથ હેલિપેડથી ગુપ્તકાશી હેલિપેડ માટે 6 શ્રદ્ધાળુઓ સાથે ઉડાન ભરીને ગયું હતું. રસ્તામાં ખરાબ હવામાનને કારણે, હેલિકોપ્ટરને બીજી જગ્યાએ હાર્ડ લેન્ડિંગને કારણે નુકસાન થયું હતું.
હેલિકોપ્ટરમાં આટલા લોકો હતા સવાર
૧. રાજવીર-પાયલોટ
૨. વિક્રમ રાવત બીકેટીસી નિવાસી રાસી ઉખીમઠ
૩. વિનોદ
૪. ત્રિષ્ટિ સિંહ
૫. રાજકુમાર
૬. શ્રદ્ધા
૭. રાશિ
ઉત્તરાખંડના સીએમ ધામીએ શોક વ્યક્ત કર્યો
ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ આ અકસ્માત પર શોક વ્યક્ત કર્યો છે. તેમણે કહ્યું કે રુદ્રપ્રયાગ જિલ્લામાં હેલિકોપ્ટર દુર્ઘટના અંગે ખૂબ જ દુઃખદ સમાચાર મળ્યા છે. એસડીઆરએફ, સ્થાનિક વહીવટીતંત્ર અને અન્ય બચાવ ટીમો રાહત અને બચાવ કામગીરીમાં રોકાયેલા છે. હું બાબા કેદારને તમામ મુસાફરોની સલામતી માટે પ્રાર્થના કરું છું.
ચાર ધામમાં હેલિકોપ્ટર સેવા પર પ્રતિબંધ
આ ઘટના બાદ સ્થાનિક તંત્ર દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે અને યુકેએડીએ અને ડીજીસીએએ ચાર ધામમાં હેલિકોપ્ટર સેવા પર પ્રતિબંધ મૂકી દીધો છે. આગામી આદેશ સુધી પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. હેલિકોપ્ટર દુર્ઘટના બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે.