જૂનાગઢની વિસાવદર વિધાનસભા પેટાચૂંટણી માટે આપના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે ખારિયા ગામમાં એક જાહેર સભાને સંબોધિત કરી હતી. આ સભા દરમ્યાન તેમણે કહ્યું હતું કે રાજકોટથી જૂનાગઢનું રસ્તાનું અંતર 125 કિમી છે. તેમણે કહ્યું હતું કે રાજકોટથી જૂનાગઢ પહોંચવામાં તેમને સાડા ત્રણ કલાક લાગ્યા કારણ કે રસ્તાઓ ખૂબ જ ખરાબ છે. ભારતીય જનતા પાર્ટી પર શાબ્દિક પ્રહાર કરતા કહ્યું કે, 30 વર્ષ સુધી ગુજરાત પર શાસન કર્યા પછી, ભારતીય જનતા પાર્ટી રસ્તા બનાવી શકી નથી.
‘દર કલાકે વીજળી જાય છે’
અરવિંદ કેજરીવાલે વધુમાં કહ્યું હતું કે, ગઈકાલે રાત્રે અમારી કાલસારીમાં સભા હતી. હું રાત્રે જૂનાગઢથી કાલસારીમાં ગયો હતો. રસ્તે જતા મોટા ભાગના રસ્તાઓ તૂટી ગયેલા જોવા મળ્યા હતા. હવે હું જૂનાગઢથી અહીં આવ્યો છું, બધા રસ્તા તૂટી ગયા છે. ભારતીય જનતા પાર્ટીની સરકાર 30 વર્ષથી ગુજરાતમાં છે, તેમણે શું કર્યું છે? હું એક હોટલમાં રહું છું. દર કલાકે વીજળી જાય છે. જ્યારે અમે કાલસારીમાં ગયા હતા, ત્યારે ગામમાં વીજળી નહોતી.
BJPએ 50 વર્ષ ગુજરાતને પાછળ ધકેલી દીધું !
આપના રાષ્ટ્રીય કન્વીનરે પોતાના સંબોધનમાં જણાવ્યું કે, “૩૦ વર્ષમાં ભાજપે ગુજરાતને ૫૦ વર્ષ પાછળ ધકેલી દીધું છે. આજે ગુજરાતમાં કંઈ નથી. વીજળી નથી, પાણી નથી અને રસ્તા નથી. મોંઘવારી છે, બધે અરાજકતા છે. હું દિલ્હીથી વિસાવદરના લોકોને સલામ કરવા આવ્યો છું. જ્યારે ભાજપ ૩૦ વર્ષથી ગુજરાતમાં શાસન કરી રહી છે. ત્યારે છેલ્લા ૨૦ વર્ષથી વિસાવદરના લોકોએ ભાજપને બહાર ધકેલી દીધો છે.” ‘ગોપાલ ઇટાલિયાની જીતને કોઈ તોડી શકવાનું નથી. વિસાવદર બેઠક પર ગોપાલ ઈટાલિયા બહુમતી સાથે જીત હાંસલ કરશે.
ગોપાલ ઇટાલિયાને પ્રચંડ બહુમતીથી જીતાડો
“છેલ્લી બે ચૂંટણીઓમાં, હર્ષ રિબાડિયાને જીતાડવામાં આવ્યા હતા, પરંતુ ભાજપે કેટલાક ઉમેદવારને તોડી નાખ્યા હતા જેના કારણે અંહી જીત થઈ, તમે અમારા ભૂપત ભાયાણીને જીતાડ્યા તેના માટે તમારો આભાર. પરંતુ ભાજપે તેમને તોડી નાખ્યા. આ ખોટું છે. જેને લોકો મત આપે છે તેને તોડવું ખોટું છે. આ લોકો સાથે છેતરપિંડી છે. અમે આમ આદમી પાર્ટીના સૌથી મોટા નેતાઓમાંના એક ગોપાલ ઇટાલિયાને ટિકિટ આપી છે.. ગોપાલ ઇટાલિયા ખૂબ જ મજબૂત માણસ છે, દુનિયાની કોઈ શક્તિ તેમને તોડી શકતી નથી. હું તમને ગેરંટી આપું છું. ગોપાલ ઇટાલિયાને પ્રચંડ બહુમતીથી જીતાડો, દુનિયાની કોઈ શક્તિ તેમને તોડી શકતી નથી.”