ફોરેસ્ટ કર્મી પર હુમલાના કેસમાં દોષિત ઠરાવવામાં આવેલા ચૈતર વસાવા સહિત આઠ આરોપીઓમાંથી શકુંતલા વસાવાને ગુજરાત હાઈકોર્ટે મહત્વપૂર્ણ રાહત આપતાં નિયમિત જામીન મંજૂર કર્યા છે. રાજપીપલા સેશન્સ કોર્ટે તમામ આરોપીઓને સાત વર્ષની સજા ફટકાર્યા બાદ શકુંતલા વસાવાને પણ જેલમાં મોકલવામાં આવ્યા હતા. જોકે, તેઓ પોતાની માત્ર 18 દિવસની બાળકી સાથે જેલમાં ગયા હોવાથી મામલો માનવીય સંવેદનાઓ સાથે જોડાયેલો હતો.
જામીન અરજીની સુનાવણી દરમિયાન રાજ્ય સરકારે માનવીય અભિગમ દાખવ્યો હતો અને શકુંતલા વસાવાની જામીન અરજીનો વિરોધ કર્યો નહોતો. સરકાર તરફથી રજૂઆત કરવામાં આવી હતી કે આરોપી પાસે નવજાત બાળકીની જવાબદારી હોવાથી આ કેસમાં માનવતાના આધારે રાહત આપી શકાય. આ દલીલને ધ્યાનમાં રાખીને હાઈકોર્ટે શકુંતલા વસાવાને જામીન પર મુક્ત કરવાનો આદેશ આપ્યો.
ઉલ્લેખનીય છે કે ફોરેસ્ટ કર્મી પર હુમલાના કેસમાં રાજપીપલા સેશન્સ કોર્ટે ચૈતર વસાવા સહિત આઠેય આરોપીઓને દોષિત ઠેરવી સાત વર્ષની સજા ફટકારી હતી. જોકે, હાલ માત્ર શકુંતલા વસાવાને જ હાઈકોર્ટમાંથી જામીન મળ્યા છે, જ્યારે અન્ય દોષિતોની કાનૂની પ્રક્રિયા યથાવત્ છે. આ નિર્ણય બાદ સમગ્ર મામલો ફરી ચર્ચાનું કેન્દ્ર બન્યો છે.

