બોટાદ માર્કેટિંગ યાર્ડમાં કપાસના કદડાને લઈને ચાલી રહેલો વિવાદ રવિવારે વકર્યો હતો. ખેડૂતોની મહાપંચાયતની સભાને પોલીસ દ્વારા મંજૂરી ન આપવા છતાં બોટાદના હડદડ ગામે ખેડૂતોની મહાપંચાયત યોજાઈ હતી, આ દરમ્યાન પોલીસ અને એકઠા થયેલા લોકો વચ્ચે ભારે ઘર્ષણ થયું હતું. મહાપંચાયતને મંજૂરી ન હોવાથી એકઠા થયેલા લોકોને પોલીસ દ્વારા વિખેરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ દરમ્યાન એકઠા થયેલા લોકોમાંથી પોલીસની PCRવાન અને ગાડી પર જોરદાર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. વાતાવરણ તંગ બનતા પોલીસે ટોળું વિખેરવા માટે ટિયર ગેસ છોડ્યા હતા. તેમજ આ ઘટનામાં 20થી વધારે લોકોની અટકાયત કરવામાં આવી છે.
ઘટના મુદ્દે આપ નેતા રાજુ કરપડાનું નિવેદન:-
રાજુ કરપડાએ કહ્યું કે, પોલીસ આવી એ પહેલા કેટલાક લોકો સભા સ્થળે આવ્યા હતા અને મોઢે રૂમાલ બાંધીને પોલીસ પર પથ્થરમારો કરવા લાગ્યા હતા. પોલીસે ટિયરગેસના સેલ છોડ્યા અને લાઠીઓ વરસાવી હતી પણ ખેડૂતોએ ધૈર્ય બનાવી રાખ્યું હતું.ખેડૂતો શાંતિ બનાવી રાખે એ માટેની અમારી અપીલ છે.
ઘટના મુદ્દે AAP પ્રદેશ અધ્યક્ષ ઈસુદાન ગઢવીનું નિવેદન:-
આ બધાં વચ્ચે બોટાદ કિસાન મહાપંચાયતમાં ભાગ લેવા જઈ રહેલા AAP પ્રદેશ અધ્યક્ષ ઈસુદાન ગઢવીની રસ્તા વચ્ચે જ અટકાયત કરી લેવામાં આવી હતી. ઈસુદાન ગઢવીની સાથે સાથે સામત ગઢવી, સાગર રબારી, ગૌરી દેસાઈ, એચડી પટેલ, કિરણ દેસાઈ સહીત મોટી સંખ્યામાં કાર્યકર્તાઓને બગોદરા ખાતે ભાજપ સરકારની પોલીસ દ્વારા રોકવામાં આવ્યા હતા. ઈસુદાન ગઢવીએ વધુમાં કહ્યું કે, કળદો કરનાર લોકોને બચાવવા માટે સરકારે અનેક જિલ્લાની પોલીસને ધંધે લગાડી દીધી હોવાનું જણાવ્યું હતું.



