ધોમધખતા તાપમાં સ્વજનોએ એક કિમી ખેતર અને ડુંગરા ઓળંગવા પડ્યા, પહેલા પ્રાઈવેટ વાહન પછી 108માં મહિલાને હોસ્પિટલ ખસેડાઈ હતી. છોટા ઉદેપુર જિલ્લાના અંતરિયાળ આદિવાસી વિસ્તારોમાં આઝાદીના દાયકાઓ પછી પણ પાકા રસ્તાના અભાવે પ્રજાની હાલાકી યથાવત છે. નસવાડી તાલુકાના નલિયાબારી ગામમાં રસ્તો ન હોવાથી એક ગર્ભવતી મહિલાને હોસ્પિટલ પહોંચાડવા માટે પરિવારજનોએ તેને કાપડની ઝોળીમાં ઊંચકીને 1 કિમી સુધી ચાલવું પડ્યું હતું. સદનસીબે, સમયસર સારવાર મળતા મહિલાએ બાળકીને જન્મ આપ્યો છે.
કુંડાની સગર્ભાને પ્રસૂતિની પીડા ઉપડી:-
નસવાડી તાલુકાના કુંડા ગામના નલિયાબારી ફળિયામાં રહેતા જીવલીબેન ભીલને સવારે 9:00 વાગ્યે પ્રસૂતિની પીડા ઉપડી હતી. ગામમાં પાકો રસ્તો ન હોવાથી એમ્બ્યુલન્સ આવી શકે તેમ નહોતી. પરિણામે, પરિવારજનોએ મજબૂરીમાં કાપડની ઝોળી બનાવી મહિલાને 1 કિમી દૂર કાચા રસ્તા સુધી ઊંચકીને લઈ ગયા હતા. ત્યાંથી ખાનગી વાહન દ્વારા પાકા રસ્તા સુધી પહોંચ્યા બાદ 108 એમ્બ્યુલન્સ મારફતે તેમને દુગ્ધા સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં ખસેડાયા હતા. હોસ્પિટલમાં સાંજે 4:00 વાગ્યાના અરસામાં મહિલાએ બાળકીને જન્મ આપ્યો હતો.
અગાઉની ઘટનામાં હાઈકોર્ટનો હસ્તક્ષેપ:-
છોટા ઉદેપુર જિલ્લો ડુંગરાળ અને અંતરિયાળ ભૌગોલિક પરિસ્થિતિ ધરાવે છે, પરંતુ અહીં પાયાની સુવિધાઓનો ભારે અભાવ છે. આ પૂર્વે 1 ઓક્ટોબર, 2024ના રોજ તુરખેડામાં પણ આવી જ ઘટના બની હતી, જેમાં એક મહિલાનું રસ્તામાં જ પ્રસૂતિ બાદ મોત નીપજ્યું હતું. આ ઘટના બાદ ગુજરાત હાઈકોર્ટે જાતે સંજ્ઞાન (સુઓમોટો) લઈ તંત્ર પાસે જવાબ માંગ્યો હતો.
હાઈકોર્ટના હસ્તક્ષેપ બાદ રસ્તો તાત્કાલિક મંજૂર કરવામાં આવ્યો હતો, પરંતુ વાસ્તવિકતા એ છે કે હજુ સુધી ત્યાં રસ્તાનું નિર્માણ કાર્ય પૂર્ણ થયું નથી. સ્થાનિકોની માગ વારંવાર બનતી આવી ઘટનાઓને પગલે સ્થાનિક રહીશોમાં તંત્ર સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે. ગ્રામજનોની માંગ છે કે ડુંગરાળ અને અંતરિયાળ વિસ્તારોમાં વહેલી તકે પાકા રસ્તા બનાવવામાં આવે જેથી ઈમરજન્સી સમયે દર્દીઓ અને પ્રસૂતાઓને સમયસર હોસ્પિટલ પહોંચાડી શકાય અને જીવનું જોખમ ટાળી શકાય.




