ફિલિપવસાવા નર્મદા
નર્મદાના ચિકદા તાલુકાના તુમડાવાડી ગામની મુલાકાત દરમિયાન આમ આદમી પાર્ટીના આગેવાનો સમક્ષ ગામની ગંભીર અને ચિંતાજનક સ્થિતિ સામે આવી હતી.ધારાસભ્ય ચૈતર વસાવાના સૂચના બાદ ચિકદા તાલુકા પંચાયતના નવ નિયુક્ત પ્રમુખ રમેશભાઈ વસાવા, ગંગાપુર તાલુકા પંચાયતના સભ્ય જયદીપભાઈ વસાવા તેમજ AAPના યુવા આગેવાન લાલુભાઈ વસાવા સહિતના આગેવાનો ગામે પહોંચ્યા હતા. ગામમાં પીવાના પાણીની વિકટ સમસ્યાને ધ્યાનમાં રાખી તાત્કાલિક બોરવેલની ગાડી લાવી બોર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.
મુલાકાત દરમિયાન ગ્રામજનોએ જણાવ્યું હતું કે દેશને આઝાદી મળ્યાના 78 વર્ષ પૂર્ણ થયા છતાં તુમડાવાડી ગામ આજે પણ વિકાસની મૂળભૂત સુવિધાઓથી વંચિત છે. ગામમાં પીવાના શુદ્ધ પાણીની કોઈ વ્યવસ્થા ન હોવાથી લોકો કોતેડામાથી પાણી પીવા મજબૂર બન્યા છે. યોગ્ય રસ્તાની સુવિધાના અભાવે ઇમરજન્સી સમયે 108 એમ્બ્યુલન્સ સેવા પણ ગામ સુધી પહોંચી શકતી નથી. ગામમાં અંદાજે 70થી 80 જેટલા બાળકો અભ્યાસલાયક વયના હોવા છતાં શાળાની સુવિધા ઉપલબ્ધ નથી. ઉપરાંત આશરે 30 જેટલા નાના બાળકો માટે આંગણવાડી કેન્દ્ર પણ નથી. અંદાજે 600ની વસ્તી ધરાવતા ગામના અનેક પરિવારો રોજગારી માટે શહેરોમાં સ્થળાંતર કરવા મજબૂર બન્યા હોવાનું જાણવા મળ્યું હતું.
સિંચાઈની કોઈ વ્યવસ્થા ન હોવાથી ખેડૂતો માત્ર ચોમાસા આધારિત ખેતી પર નિર્ભર છે. ગામના મોટા ભાગના મકાનો કાચા અને ઝૂંપડાં સ્વરૂપના છે. ગ્રામજનોના આક્ષેપ મુજબ જંગલ વિભાગ દ્વારા પાકા મકાનો બનાવવા માટે જરૂરી મંજૂરી આપવામાં આવતી નથી. હાલમાં ગામમાં માત્ર 41 લોકોના આધારકાર્ડ બન્યા હોવાનું તેમજ અનેક લોકો પાસે રાશનકાર્ડ અને અન્ય સરકારી દસ્તાવેજોની અછત હોવાનું પણ સામે આવ્યું હતું.
અંદાજે 150 મકાનો ધરાવતા ગામમાં વીજળીની સુવિધા પણ ઉપલબ્ધ નથી, જ્યારે બાજુના દુધલીવેર ગામ માટેની કૃષિ વીજ લાઈન તુમડાવાડીમાંથી પસાર થાય છે. ગ્રામજનોએ જંગલ વિભાગ દ્વારા વારંવાર હેરાનગતિ થતી હોવાના આક્ષેપો પણ કર્યા હતા. સુકા લાકડાં લાવતાં હોવા છતાં તેને લીલા લાકડાં ગણાવી કાર્યવાહી કરવામાં આવતી હોવાનો આરોપ ગ્રામજનોએ વ્યક્ત કર્યો હતો.
AAP આગેવાનોએ ગ્રામજનોની સમસ્યાઓ સાંભળી સંબંધિત વિભાગો સમક્ષ પ્રશ્નો ઉઠાવી ગામને મૂળભૂત સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા માટે પ્રયાસો કરવાની ખાતરી આપી હતી. તુમડાવાડી ગામની આ સ્થિતિ વિકાસના દાવાઓ સામે અનેક પ્રશ્નો ઉભા કરી રહી છે.

